Monday, July 9, 2018

ભાષાઃ એક જીવી શકાતો ઇતિહાસ… પણ આપણે જીવતા નથી… - શૈલેષભાઈ દવે

ભાષાઃ એક જીવી શકાતો ઇતિહાસ…
પણ આપણે જીવતા નથી…

માણસ જન્મે છે અને પશુ જન્મે છે તે બે-માં શું ફરક હોય છે? અનેક, પણ એક અત્યંત મહત્વપૂર્ણ ફરક એ કે માણસ ભાષા સાથે જન્મે છે. જેની સેંકડો પેઢીઓ ચિતા પર બળી ગઈ છે તે મનુષ્યનું નવજાત શિશુ દુનિયામાં પ્રવેશે છે ત્યારે તેની પેઢીઓનો વારસો, સદીઓના સંસ્કાર… તેની ભાષા તેને આપે છે. સદીઓથી એક જ પરંપરા કેવી રીતે ચાલી આવી શકે છે? એ ભાષા વગર સંભવ છે? માનવ એકવીસમી સદીમાં પ્રકૃતિની બરાબરી કરતું સર્જન કરવા સમર્થ બન્યો છે તે વિકાસગાથા ભાષા વગર ક્યાં અટકેલી હોત? શું કલ્પી શકો છો? ભાષાના અવિષ્કાર વગર માણસની પ્રગતિનો ગ્રાફ હજી ક્યાં સુધી પહોંચ્યો હોત? એક વાંદરો બીજા વાંદરાને શબ્દોની સહાનુભૂતિ નથી આપી શકતો, કોઈ કુતરો બીજા કુતરાને પોતાના માણસ સાથેના સારાનરસા અનુભવો બયાન નથી કરી શકતો, કોઈ પણ પશુ તેની પશુપંચાયતમાં માનવઅત્યાચાર સામે ફરિયાદ નથી નોંધાવી શકતું… આવી પશુપંચાયતનું સર્જન પશુઓ માનવ પહેલાંના પૃથ્વી પર હોવા છતાં નથી કરી શક્યાં… કેમ? ફક્ત બુદ્ધિ જ કારણભૂત છે?
ભાષા, સંપર્ક, વાતચીત, ચર્ચા… શબ્દો… કદાચ માનવ મગજની મૂળ પેદાશોની ભૂમિ તૈયાર કરનારી આ શોધોને સર્વોચ્ચ સ્તર અપાય તો એમાં કંઈ ખોટું નથી.
પછી… ભાષા કોઈ પણ હોઈ શકે… અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, મલયાલી, બંગાળી, તમીળ, હિબ્રુ… કે ઝોક્યુ-યાપાનેકો, લિમરિજ, તૌશિરો, તાનિમા, ચામીકુરો, લિકિ, કાવાસ્કર, વિન્ટુ-નોમ્લાકી, ટિનિગુઆ, ટોલોવા, વિલેલા, વોલોવ… અરે ભાઈ હા… આ બધાં પણ ભાષાઓનાં જ નામ છે. એ સર્વેનો ઉલ્લેખ સકારણ-હેતુપૂર્વક કરાયો છે… આમાં હિબ્રુ પછીનાં જે બાર નામો લખ્યાં છે તે વિશ્વની એવી ભાષાઓનાં છે જેના હયાત ભાષકો હવે દસ કરતાં પણ ઓછી સંખ્યામાં છે, આજે એવી લગભગ કુલ બસો ભાષાઓ છે જેના ભાષકોની સંખ્યા દસ કરતાં ઓછી છે. એટલે કે આ ભાષાઓની છેલ્લે ઘડીઓ ગણાઈ રહી છે. વિશ્વભરમાં અત્યારે આ ચર્ચા જોરમાં છે, કેટલીય ભાષાઓ વિનાશને આરે ઊભી છે,… યુનેસ્કો અને બીજી સંસ્થાઓ આ દિશામાં સન્માનીય રીતે કાર્યરત છે.
ભાષા કેટલી ઉઁમર લઈને જન્મે છે? ભાષાની કેટલી ઉંમર હોવી જોઈએ? કોઈ નક્કી કરી શકે છે? ભાષા જેટલું આત્મનિર્ભર માનવતત્ત્વ બીજું કોઈ છે ખરું? તમે જે ભાષા સાથે જીવો છો… એની ખરી રોમાંચકતા ખબર છે? એ ભાષા… એ શબ્દો… એ વાક્યરચનાઓ, રૂઢિપ્રયોગો, સંજ્ઞાઓ, સમાસો… એ ભાષાની લઢણ, ઢાળ… એ ઉચ્ચારો… મહદંશે સદીઓને સર કરીને પણ એમ ના એમ હોય છે. ભાષા એકમાત્ર જીવાતો ઇતિહાસ છે એવું મારું માનવું છે. શું એ કલ્પના માત્ર રોમાંચિત નથી કરી દેતી કે જે “કેમ છો?””મજામાં” આપણે બોલીએ છીએ એ જ “કેમ છો?””મજામાં” નરસિંહ મહેતા પણ બોલતા હતા… નર્મદ પણ બોલતા હતા… અને ગાંધીજી પણ બોલતા હતા… આટલી વ્યાપક, આટલી ઐતિહાસિક, આટલી સમર્થ અને એટલી જ પ્રસ્તુત અનુભૂતિ બીજી કઈ હોઈ શકે?
ગુજરાતી વિશે ચિંતા કરવાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે એ પણ કરશું પરંતુ હમણા તો એને પ્રેમ કરી લેવો જોઈએ એવું નથી લાગતું?
દર વર્ષે નવરાત્રી પસાર થઈ જાય છે, તેમાં સૌથી વધારે સંવેદના ઝંકૃત કરતું તત્વ કયું? તો કે ગરબાનો લયઢાળ… ભલે આપણે નાચવા ન ગયા હોઈએ પણ આ સમયગાળામાંથી પસાર થતા જ મનમાં ક્યાંક ને ક્યાંક “ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી…” ચાલ્યું હોય અને આ “વાત ખાનગી” આપણે કોઈને કહેતા નથી… નવરાત્રીનો સમય ગુજરાતીયતને મનાવવાનો છે. નવરાત્રી સંપૂર્ણપણે ગુજરાતી જ બની રહે છે, વલસાડમાં ઉજવાતી હોય કે પછી તે લંડનમાં ઉજવાતી હોય છે ત્યારે પણ. આપણને ગુજ્જુ કહી વેપારી માનસ માટે વગોવતા બિનગુજરાતીઓની જીભે પણ “ઓઢણી ઓઢું તો ઊડી ઊડી જાય…” તમને સાંભળવા મળ્યું જ હશે… ગુજરાતી ગીતો જનમાનસમાંથી અને ગરબા, નવરાત્રી, ચરરર ચરરર મારું ચગડોળ ચાલે… વગેરે-ને ગુજરાતી કુંડાળામાંથી બહાર ખેંચી કાઢવા અશક્ય છે… આ આપણી ભાષાએ આપણને આપેલો વારસો છે… અબજોની સંપત્તિ છે, આપણું વિશ્વવારસો-વર્લ્ડહેરિટેજ નહીં, વારસાનું વિશ્વ-હેરિટેજવર્લ્ડ છે, જીવાતો ઈતિહાસ છે… ફક્ત જીવાતો જ નહીં જીવી જનારો ઇતિહાસ.
અને આજે સ્ટેજ પર ગાવા ઈચ્છતા દરેક સિંગરે પ્રોફેશનલ બનવા માટે ગુજરાતી શીખી જ લેવું પડે છે… કારણ, એની દુકાન ગુજરાતી ગીતો ગાયા વગર ચાલવાની નથી. આપણી ભાષાની આ સત્વશીલતાને સત્કારવાનો કોઈને સમય છે ખરો? તેની સલામી આપણા પરંપરાગત કવિઓને, સંગીતકારોને જાય છે… સંજય લીલા ભણશાળી જેવા ગુજરાતી ફિલ્મમેકર પણ ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવવામાં થાપ ખાઈ ગયા છે, થોડા મહિના પહેલાં ઝવેરચંદ મેઘાણીનું લોકપ્રિય ગીત… (મૂળ રવીન્દ્રનાથના ગીતનો ગુજરાતી અનુવાદ) “મન મોર બની થનગાટ કરે…” તેમણે પોતાની ફિલ્મમાં વાપર્યું પણ તેમાં મૂળ અને અનુવાદક કવિનો ક્યાંય ઉલ્લેખ ન કરી શક્યા… તેમની માટે એ ગીત એક “પ્રસિદ્ધ પરંપરાગત લોકગીત” માત્ર જ હતું. (બીચારા મેઘાણીજી, એમણે આ ગીતનો જ્યારે 1942માં અનુવાદ કર્યો ત્યારે આગળ જતા કોઈ કોપી રાઈટ નામનો ગુણધર્મ વિકસવાનો છે એનો ખ્યાલ ક્યાંથી હોય?)
અફસોસ કે આ ગુજરાતી ભાષામાં બને છે. એક જ વ્યક્તિ, ભણશાળીસાહેબ જ, બે બે ગુજરાતી સાહિત્યવીરોની અવગણના એક જ સમયગાળામાં કરી જાય છે( ટીવીસિરિયલ સરસ્વતીચંદ્ર, ગો. મા ત્રિપાઠી, મૂળકૃતિને સંપૂર્ણ અન્યાય… સમાચાર સૌએ સાંભળ્યા હશે…) અને આપણી પ્રજાને કુંભકર્ણની બાકી રહી ગયેલી ઊંઘ પૂરી કરવામાં, શેરબજારનું લિસ્ટિંગ ચેક કરવામાં અને વળતર ગણવામાંથી ફૂરસદ નથી.
એટલે ગુજરાતીને પ્રેમ કરવામાં મસ્ત અમારા જેવાઓને પણ આ સમયમાં ન છૂટકે ભાષાની ચિંતા કરવા મંડવું પડે છે. ભાષા વિશે અમે હવે કશુંક વધાર પડતું લખી રહ્યા છીએ એવું પણ એકાદ બે મિત્રોનું કહેવું છે… પણ શું કરીએ આ ભાષા… આ ઈતિહાસને જીવાતા આનંદને શબ્દકાય આપવાની લાલચ ટળતી નથી અને અમુક કિસ્સાઓમાં લખ્યા સિવાય કળ વળતી નથી.
બીજી એક મહત્વની વાત કરવી છે લિન્ગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાની. તાજેતરમાં જ તેમણે જે સર્વેનાં પરિણામો બહાર પાડ્યાં એમાં ઘણી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી.
એક તો 1950થી લઇને અત્યાર સુધી ભારતમાં ઓછામાં ઓછી 250 જેટલી ભાષાઓ નાશ પામી છે… અને બીજું ભારતનું ભાષા વૈવિધ્ય આપણે સત્તાવાર રીતે જેટલું દર્શાવાયું છે એનાથી ઘણુ વધારે છે.
આજે ભારતમાં 780 ભાષાઓ છે, જેમાંથી 122 સત્તાવાર સરકારી માન્યતા પ્રાપ્ત છે. ભાષા વૈવિધ્યમાં ભારત વિશ્વમાં નવમા સ્થાને છે. ઘણી ભાષાઓ નાશ પામવાના ભય હેઠળ પણ ટકી રહી છે. અમુક આંતરરાષ્ટ્રીય સૂત્રોની ગણતરી પ્રમાણે ભારતમાં 198 ભાષાઓ નાશ થવાના ભય સાથે જીવી રહી છે, જે વિશ્વના કોઈ પણ દેશ કરતાં વધારે છે.
બીજી બાજુ હિન્દીની વિકાસયાત્રા જારી છે. અત્યારની પ્રગતિ જોતા 2100 સુધીમાં વિશ્વભરમાં અંગ્રેજીભાષી લોકો અને હિન્દીભાષી લોકોની સંખ્યા સરખી હશે એવું કહેવાય છે. ભારતની કુલ વસ્તીના 41.03 ટકા લોકો હિન્દી બોલનારા છે, જેમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં છે. બીજા ક્રમે બંગાળી ભાષા ભારતની કુલવસ્તીમાંથી 8.11 ટકા સાથે છે. તેલગુ 7.19 ટકા સાથે ત્રીજા અને મરાઠી 6.99 ટકા સાથે ચોથા ક્રમે છે. આ યાદીમાં ગુજરાતી 4.48 ટકા સાથે ભલે છેક સાતમા ક્રમે છે પણ તે ભારતની કુલ લોકવસ્તીમાં ગુજરાતીઓની સંખ્યા તપાસતા તેનો ક્રમ શ્રેષ્ઠ ન ગણાય?
એક વાત સ્વીકારવી પડે કે ભાષા પણ કાળ અને સમયનું જ સંતાન છે, એક ને એક દિવસે કાળ ફરી તેને પણ ગર્ક કરી જશે, જેમ વિશ્વની અનેક ભાષાઓને કરી ગયો છે, અનેક પ્રજાતિઓની વિલુપ્તી થઈ ગઈ છે… નગરો ગુમ થઈ ગયા છે,,, સંસ્કૃતિઓ ડૂબી ગઈ છે… ભાષા પણ ઇતિહાસથી અલગ નથી. પરંતુ પહેલાં કહ્યું એમ એ ઇતિહાસનું સૌથી રસપ્રદ પાસુ છે, તે પોતે જ ઈતિહાસ છે… જીવાતો ઈતિહાસ… હું માણી રહ્યો છું… તમે પણ માણો છોને ઈતિહાસની રોચક સફર?
– અસ્તુ.
– શૈલૈષભાઇ દવે
– અંતરંગ સામાયિકમાંથી સાભાર

શિક્ષણની સાંપ્રતકથાઃ લાખોની ફીઝ છતાં પ્લીઝ, પ્લીઝ પ્લીઝ… શૈલેષભાઈ દવે


શિક્ષણની સાંપ્રતકથાઃ લાખોની ફીઝ છતાં પ્લીઝ, પ્લીઝ પ્લીઝ… શૈલેષભાઈ દવે



પ્રતીકાત્મક  તસવીર
પ્રતીકાત્મક તસવીર

5 સપ્ટેમ્બરે શિક્ષકદિન ગયો અને ઘણી નવીન સમસ્યાઓની ભેટ આપતો ગયો, બહરહાલ-શિક્ષણને લગતી જ. ડૉ રાધાકૃષ્ણન્, જેમના જન્મદિવસે આ શિક્ષકદિન આખો ભારત દેશ ઉજવે છે તેઓ એવું કહેતા હતા કે શિક્ષણનું અંતિમ પેદાશ એટલે એવી મુક્ત સર્જનાત્મક વ્યક્તિ જે ઐતિહાસિક પરિસ્થિતિઓ અને પ્રાકૃતિક વિપત્તિઓ સામે લડી શકે. એવું મુક્ત, સર્જનાત્મક વ્યક્તિત્વ આપણે ત્યાં હવે પેદા થાય છે ખરું? અને થાય પણ તો શું એ શિક્ષણની પેદાશ છે? આપણા દેશનો સૌથી મોટી સમસ્યા જ આ છે કે આપણને વિભૂતિઓ બનાવવાનો બહુ શોખ છે. કારણ-તેમની પાછળ કંઈક વાદ ઊભો કરી શકાય અને બિચારા એ વિભૂતિના મૂળભૂત સિદ્ધાંતોને તો આપણે તોડીમરોડીને વેચી ખાઈએ છીએ… પછી તેમાં ગાંધીજી હોય, આંબેડકર હોય કે રાધાકૃષ્ણન્ …
મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે મહારાષ્ટ્રનાં પાંચ મૂખ્ય પ્રાધાન્યોમાં એક શિક્ષણની ગુણવત્તા માટે છે, અને તે ફક્ત ઉચ્ચ શિક્ષણ માટે નહીં પ્રાથમિક શિક્ષણ માટે પણ. એટલે કે અહીંના પ્રાથમિક શિક્ષણની પણ ગુણવત્તા વધારવાની જરૂર છે એવા વાતાવારણમાં વિદ્યાર્થીની હાલત શું છે? પાયાવિહોણુ શિક્ષણ આપતું એક ચેઝ બોર્ડ છે તંત્ર અને તેનું પ્યાદુ બનીને રહી જાય છે વિદ્યાર્થી… તેની કરેલી અઠળક મહેનત તેને ભરચક માર્ક્સથી વધારે કંઈ નથી આપી શકતી. અને તે માર્ક્સનો સિલસિલો ડિગ્રી પર જઈ અટકી જાય છે (એ સિવાય, શું તમે સારા માર્ક્સને લીધે ચારે તરફથી મળતી વાહવાહને કંઈ ઉપયોગી ગણો છો? તો એ મળે છે ખરી) અને ડિગ્રી… ડૂપ્લિકેટ તો ડજનોના ભાવે મળતી થઈ ગઈ છે. અને કોઈ વ્યવસાયમાં ફક્તને ફક્ત ડિગ્રીના દમ પર હવે નોકરીઓ મળી નથી રહી… એટલે કે અંતે આખું જ શિક્ષણચક્ર વિષચક્ર બની ગયું છે… તો શું કરોડો વિદ્યાર્થી અંધારામાં દોટ મૂકી રહ્યા છે? જવાબ હા પણ છે અને ના પણ. જે વિદ્યાર્થીઓ ખરેખર પ્રતિભાશાળી છે તે તો આંખોમાં આગ ભરી, દીવાલો તોડીને પણ પોતાનો રસ્તો કરી લેશે… વાત એક સામાન્ય વિદ્યાર્થીની છે જેને જો તમે ડૉકટર બનાવા ચાહો તો તે ડૉકટર બને અને એન્જિનિયર બનાવા ચાહો તો એન્જિનિયર… ભલે એ મૂળભૂત રીતે તો એક કવિજીવ હોય… પણ એક વિદ્યાર્થી જેને સંપૂર્ણ શિક્ષણની જરૂર પડે છે… તે આજના વાતાવરણમાં ગુમરાહ થઈ જવાનો. દેશના મહામૂલા યુવાધનમાંથી ઘણુંખરું આવી રીતે કૂવામાં પડી રહ્યું છે. જ્યુવેનાઇલ ક્રાઈમ(સગીર વયજૂથ દ્વારા આચરવામાં આવતા ગૂનાઓ)નું પ્રમાણ ચોંકાવનારી સંખ્યામાં વધી રહ્યું છે. ડ્રોપ આઉટ્સ આશ્ચર્યજનક રીતે વધી રહ્યા છે.. કારણ? સ્પષ્ટ છે માથાભારે અને નૈતિકતાવિહોણુ શિક્ષણ.
મુખ્યમંત્રી કહે છે કે જો શિક્ષણક્ષેત્રે પાયાથી ફેરફાર લાવવો હોય તો સમાજના દરેક ઘટકે તેની માટે આગ્રહ રાખવો પડે, ફક્ત સરકાર નહીં, વાલીઓ, શિક્ષક, પ્રસારણમાધ્યમો સર્વેનો સાથ સાંપડવો જોઈએ. પણ એ સાથ મળવાથી શું અને કેવી રીતે થવાનું છે એ તેમણે સ્પષ્ટ ન હતું કર્યું. અનેક ચર્ચાસત્રોની પૂર્ણાહૂતિ પછી પણ શિક્ષણ વ્યવસ્થામાં કેટલા ફેરફાર આવ્યા? શૂન્ય. સમસ્યાઓ અપરંપાર છે. પ્રાદેશિક ભાષાની શાળાઓને અંગ્રેજી માધ્યમનો સાપ ગળી જઈ રહ્યો છે. તો અંગ્રેજી શાળાઓમાં વર્ગખંડો લોકલના ડબ્બાની જેમ ખીચોખીચ ભરેલા છે, મર્યાદિત સમયમાં અભ્યાસક્રમ પૂરો કરવાની ચિંતામાં શિક્ષકો જે સમજાવે છે, જે ભણાવે છે તેનો કોઈ માપદંડ નથી… અને હવે તો તેની કોઈ કક્ષા પણ રહી નથી એવું લાગે છે. જે શિક્ષણ છે તેનું સ્વરૂપ પણ કેટલું અઘરું ને ભારેખમ છે એ આપણે સૌ જાણીએ છીએ. વિદ્યાર્થીઓ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ઉપરથી તેમના માથે ક્લાસીસ-ટ્યુશન્સનો મારો અલગથી થાય છે, ટેલીવિઝનના જ્યુનિયર રિયાલિટી શોઝ સીધો તેમના મનોજગત પર ફટકો પહોંચાડે છે. ઇન્ટરનેટ દ્વારા નાના થઈ ગયેલા વિશ્વની વધી ગયેલી મહત્વકાંક્ષાઓના ભાર નીચે દટાઈ જાય છે તેમનાં બાળસ્વપ્નો ને મુગ્ધ કલ્પનો…
કારણ? હવે તેઓને એક સાથે કેટલી દુનિયાઓમાં જીવવાનું હોય છે, સ્કૂલ, ટ્યુશન, કોઈક ને કોઈક ક્લાસીસ, મોબાઈલ, ફેસબુક, વેબસાઈટ્સ… અને હા, ઘર! એક બાળક પર વધારેમાં વધારે કેટલો ભાર મુકી શકાય, બસ હવે એના કાયદાની રાહ જોવાઇ રહી છે કે એક બાળકને તમે આટલાં કલાક જ પ્રવૃત્તિમય રાખી શકો ને આટલાં કલાક એને રમવા દેવો… એવો કાયદો આવે પછી જ આ ભાર કંઈક મર્યાદિત થશે.
અત્યારની મોટા ભાગની શાળાનાં વ્યવસ્થાતંત્રનો ધ્યેય કઈ દિશાનો છે? પૈસો.. રૂપિયા… મની!!! અને લાખો રૂપિયા ભર્યા પછી, શાળાના જ ઈત્તર ખર્ચામાં હજારો વેડફ્યા પછી, શાળાના ભયંકર શેડ્યુલને અપનાવા્યા પછી, ધડમાથા વગરના નિયમો માન્ય રાખ્યા પછી… આ બધા ”પછી”ઓ પછી પણ વાલીઓએ પ્લીઝ પ્લીઝ જ કર્યા કરવું પડે છે. બીજી તરફ શિક્ષકોનો દુકાળ પડી રહ્યો છે (સારા ખરાબ તો બાજુ પર મૂકો) એક અભ્યાસ મુજબ રાજ્યમાં 1.3 કરોડ વિદ્યાર્થીઓ સામે 5.42 લાખ શિક્ષકો જ છે… એટલે કે સરેરાશ પ્રમાણે મહારાષ્ટ્રની એક શાળામાં ફક્ત પાંચ શિક્ષકો જ છે.
સરકારી શાળાઓની સ્થિતિ તો મહદંશે ખરાબ છે. 40 ટકા સરકારી શાળાઓની આસપાસ દીવાલ નથી. 36 ટકા શાળાઓ પાસે નાનું એવું પણ મેદાન નથી. 82 ટકા પ્રાથમિક શાળામાં કમપ્યુટર નથી અને એનાથી મોટું આશ્ચર્ય તો એ છે કે હજી 24 ટકા સરકારી શાળાઓમાં નિયમિત વીજળીનું કનેક્શન પણ નથી. 5 ટકા શાળાઓમાં કોઈ પણ જાતના શૌચાલય નથી. (આ બાબતમાં 5 ટકા ગણા વધારે કહેવાય… એટલે કે હાલત સારી છે.) મુંબઈની 94 ટકા શાળાઓમાં શાળાના મૂળભૂત નિયમો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાના પાણી ને શૌચલયની વ્યવસ્થા, મેદાન વગેરે જેવી બાબતો)માંથી એકાદાનું તો ઉલ્લંઘન થયેલું જ છે. ક્લાસરૂમમાં બે ગણા વિદ્યાર્થીઓ છે એ તો નોંધ્યું, સરકારી સિવાયની શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ટર હાઈ ક્લાસ છે અને ઇન્ટલીજન્સ-સ્ટ્રક્ચર જર્જરિત. (એમાં તો સરકારીમાં પણ એવું જ છે.) 50 ટકા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ઘરે ગયા પછી આજે શું શીખવ્યું એ જાણ જ નથી હોતી… એવું એક અનુમાન કહે છે.
વિદ્યાર્થીઓના શિખવાની ક્ષમતામાં થતો ઘટાડો એ બીજી મોટી સમસ્યા છે. વિદ્યાર્થીઓને કેટલું ને શું ભણાવવામાં આવે છે તેની સામે તેઓ કેટલું અને કેવું ભણ્યા તે પણ ચિંતાનો વિષય છે. અને તે વિષય ચોંકાવનારા આંકડા આપે છે. અંગ્રેજી માધ્યમના સાતમા ધોરણના 50 ટકા વિદ્યાર્થીઓને અંગ્રેજીનું એક આખું વાક્ય વાચતા નથી ફાવતું.
…મગજનો એક મોટો હિસ્સો મોબાઈલ-ક્મ્પ્યુટર, ગેમ્સ ને ઇન્ટરનેટને સમજવામાં વાપરી નાખ્યા પછી બાળકના મગજને શીખવાનું શું બાકી રહ્યું… પોતાનો નાનો ટપુડો ફાવટથી ગેઝેટ વાપરતો થઈ જાય એનો ગર્વ લેતા પહેલા દરેક વાલીએ વિચારી લેવું પડે એમ છે. એવું નથી કે મગજની શક્તિ મર્યાદિત છે પણ તેની પાસેથી એક સાથે કેટલું કામ લઈ શકાય એ માનસશાસ્ત્રીઓનો પ્રશ્ન છે. જે દરેક શાળાએ સમજવો પડે અને વાલીઓએ પણ. આ બધામાં જે બાબતને તદ્દન અવગણવામાં આવી છે એ છે દરેક શાળામાં એક સાયકોલોજિસ્ટની આવશ્યકતા. હા, ભાઈ એ બાબત પણ તદ્દન યોગ્ય છે કે જ્યાં ટોઇલેટ્સ ને પીવાના પાણીના વાંધા હોય ત્યાં એક કાઉન્સેલર કમ સાયકોલોજિસ્ટ એ તો બહુ વધારે પડતી અપેક્ષા ગણાય. પરંતુ જો શિક્ષણના સર્વાંગી વિકાસની વાતો જોરશોરથી થતી હોય અને આવનારી કાલોમાં આપણે ત્યાં શિક્ષણનું દ્રશ્ય એકદમ સ્વચ્છ ને ઉમદું હશે એવાં આશ્વાસનો મળી રહ્યાં હોય તો એમાં આવી બેચાર બીજી અતિશયોક્તિ ભરી અપેક્ષાઓ રાખવી જ પડે… એમાં કંઈ ખોટું નથી… હવે આ અતિશયોક્તિ સાબિત થાય છે કે પૂર્વોક્તિ એ તો આવનારી કાલ જ કહેશે!
– અસ્તુ.
(તારીખઃ 10 સપ્ટેમ્બર 2014
શૈલેષભાઈ દવે)